વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી નામાંકન કર્યું: અમિત શાહ, યોગી આદિત્યનાથ , રાજનાથ સિંહ સહિતના દિગ્ગજો રહ્યાં હાજર, અગાઉ અહીંથી મળી હતી જીત
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan14052024_072153_PM Modi 123.webp)
- 14 May, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતેથી લોકસભા ચૂંટણી માટે આજે નોમિનેશન દાખલ કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા PM મોદી વર્ષ 2014 અને 2019માં વારાણસીથી ચૂંટણી જીતી ચૂક્યા છે. નામાંકન દાખલ કરવા દરમિયાન વારાણસી કલેકટર કાર્યાલયમાં ઘણા મોટા નેતા હાજર રહ્યાં હતા. નામાંકન કરતી વખતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ચાર પ્રસ્તાવક પંડિત ગણેશ્વર શાસ્ત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ્ર કુશવાહા અને સંજય સોનકર પણ હાજર રહ્યાં હતા.
નામાંકન પછી પીએમ મોદી રુદ્રાક્ષમાં કાર્યકર્તા સંવાદ કાર્યક્રમને સંબોધિત કરશે. વારાણસી લોકસભા બેઠક માટે અંતિમ તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે. આ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સાતમી મેથી શરૂ થઈ ગઈ છે. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર 13મી મેએ મતદાન થવાનું છે. આ 10 રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા, બીજા તબક્કામાં 60.96 ટકા અને ત્રીજા તબક્કામાં 61.45 ટકા મતદાન થયું હતું.